Thursday, April 14, 2016

MASHKARA MAHAPURUSHO NA KISSA

મશ્કરા મહાપુરુષો

દુકાળનું કારણ
       પશ્ચિમના બીરબલ ગણાતા મહાન નાટયકાર જ્યોર્જ બર્નાડ શૉને એક જાડા માણસે કહ્યું, 'મી. શો તમને જોઈ બીજા દેશમાંથી આવનાર કોઈને એમ જ લાગે કે, ઇંગ્લેન્ડમાં દુષ્કાળ હોવો જોઈએ.'
... અને આપને જોઈ એમ જ લાગે કે દુકાળનું કારણ આપ જ હોવા જોઈએ' શોએ બરાબર ફટકો માર્યો.

વર્ષગાંઠ પર અભિનંદન
         પ્રસિદ્ધ મશ્કરા કારમેન જેકોલીના ડોકટરે એકવાર પોતાનું જુનું બિલ તેમની પર મોકલી આપ્યું અને તેના પર લખ્યું, 'બિલને આજ એક વર્ષ પુરુ થઇ ગયું છે ?!'
વિનોદી જેકોલીને આ સુંદર મોકો મળી ગયો. તેમણે તરત જ તે જ બિલ નીચે લખીને પરત મોકલતા નીચે લખ્યું, 'બિલની વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન.'

આપ હાર્યાં !
          બહુ જ ઓછું બોલવાની ટેવવાળા અમેરિકાના રાષ્ટ્રપતિ કુલિજને બોલાવવાનું કાર્ય ખૂબ મુશ્કેલ હતું.
એકવાર વોશિંગ્ટનમાં એક મહિલા તેમને મળી ગઈ ને બોલી સર, મેં મારી એક સખી સાથે શર્ત લગાવી છે કે, આપની પાસેથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બોલાવી આપીશ. ખૂબ જ નરમાશથી તેમણે રાષ્ટ્રપતિને પોતાની હકિકત કહી. આ સાંભળી કુલિજ બોલી ઊઠયા, 'આપ હાર્યા !'

મૃત્યુ પછી કે પહેલાં
          સુપ્રસિદ્ધ સાહિત્યકાર મિસર મોર્લેને એક મિત્રે પૂછયું, 'શું આપે કોઈ એવી કૃતિ સર્જી છે કે, આપના મૃત્યુ પછી પણ જીવિત રહે.'
મશ્કરા મોર્લે બોલી ઉઠયા, 'અત્યારે તો હું એવી કૃતિ બનાવવાનો પ્રયાસ કરું છું જે મૃત્યુ પહેલાં મને જીવિત રાખવામાં સફળતા આપે.'

દુર્ભાગ્ય અને વિપત્તિ
            એકવાર ડિઝરાયલને કોઈએ પૂછયું કે, 'દુર્ભાગ્ય અને વિપત્તિમાં શો તફાવત છે ?'
તેઓએ કહ્યું, જો ગ્લેડસ્ટન ટેમ્સ નદીમાં ડુબી જાય તો દુર્ભાગ્ય કહેવાય, પરંતુ જો કોઈ તેને બચાવી લે તો એ વિપત્તિ કહેવાય !!'

ઇજા !!
           અમેરિકાના એક પ્રમુખ વિલિયમ્સ અત્યંત સ્થુળકાય શરીર હોવાથી તેમના શરીર વિશે એક પ્રસંગ આનંદ આપે એવો છે.
પ્રમુખ એક સ્થાનિક ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે ઘોડા પર બેસી ચૂંટણી પ્રવાસ કરી રહ્યા હતા.
એક દિવસ તેઓ ઘોડા પરથી પડી ગયા. પરંતુ સદભાગ્યે તેમને કંઈ ઇજા થઇ નહિ. આથી તેમણે ઉપપ્રમુખને આ ખબર જણાવતો તાર કર્યો, 'ઘોડા પરથી પડી ગયો છું, પરંતુ કંઇ ઇજા થઈ નથી, ખુશીમાં છું.'
ઉપપ્રમુખે વળતો તાર કર્યો, 'આનંદ (ખુશી) થયો. ઘોડાને કંઇ ઇજા થઈ નથી ને ?!'

કેટલા પુત્રે પિતા ?
           પર્લીયલ નામના એક મહાન હાસ્યકાર થઈ ગયા, 'જેમણે ફકત એકજ નોવેલ લખી હતી, તેવા એક લેખક તેમને મળવા આવ્યા ને પૂછયું, 'મેં તો માત્ર એક જ નોવેલ લખી છે, તો શું હું લેખક કહેવાઉં ખરો ?'
હસતાં હસતાં હાસ્યકાર પર્લીપલે લેખકને પ્રતિપ્રશ્ન કર્યો કે, આપને ફકત એક જ બાળક થયું હોય તો આપ પિતા કહેવાઓ કે નહિ ?'
બિચારા લેખક મહાશય આ સાંભળી છક્ક થઇ ગયા.

બોલવું જરૃરી છે ?
          ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન એકવાર મિત્ર મંડળીમાં બેઠા હતા. બધા કોઈ વિષય પર ગરમાગરમ ચર્ચા કરી રહ્યા હતા. તો લિંકન ચુપચાપ સાંભળી રહ્યા હતાં.
આ જોઈ એક મશ્કરો મિત્ર બોલી ઉઠયો, 'કેમ, સાહેબ, આપ તો બહુ શાંત બેઠા છો ? લાગે છે કે આપ મૂર્ખ છો ?' હાજર જવાબી લિંકન બોલી ઉઠયા, 'મૂર્ખ તો બોલ્યા વિના રહી જ શકતા નથી..' બિચ્ચારો મિત્ર ચુપ થઈ ગયો.

સંકલન : વૃજલાલ દાવડા
Source Gujarat samachar 

0 comments: